Tuesday 28 March 2017

'મેરી પ્યારી બિંદુ' ફિલ્મનાં ટીઝર્સ અને નવું ગીત



આખરે એક વર્ષ પહેલાં યશરાજ દ્વારા યૂટ્યુબ પર વીડિયો શેર કરવામાં આવેલો, જેમાં પરિણીતિ ચોપરા એના અવાજમાં ગીત ગણગણતી હતી. એ સમયે જાહેરાત કરવામાં આવેલી કે એની આગામી ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ' યશરાજ સ્ટુડિયોઝ તરફથી મનિષ શર્મા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે, જેને નવોદિત ડિરેક્ટર અક્ષય રોય ડિરેક્ટ કરશે. ત્યારથી મારા મનમાં ઉશ્કેરાટ વધી ગયેલો. એ સમયે પરિણીતિએ કહેલું કે એ આ ફિલ્મમાં ગીત ગાતી જોવા મળશે. એ વાતનાં ત્રણેક મહિના પછી આયુષ્માન ખુરાનાને પ્રેઝન્ટ કરતું ટીઝર રિલિઝ કરવામાં આવેલું, જેમાં કોલકાતાની વાર્તા હોવાનું જાણવા મળ્યું. આયુષ્માન લેખકનું પાત્ર ભજવશે! રસપ્રદ વાત છે કે પરિણીતિ અને આયુષ્માન બંને પંજાબી છે, જેઓ ફિલ્મમાં બંગાળી પાત્રો ભજવશે. 







આજે રિલિઝ થયેલ ગીત 'માના કે હમ યાર નહીં' પરિણીતિનાં અવાજમાં ખૂબ સુંદર લાગે છે. શબ્દો લખવામાં આવ્યા છે કૌસર મુનીર દ્વારા અને સંગીત સચિન-જિગર દ્વારા. આ ગીત મને એટલું ગમ્યું કે ઓફિસમાં પણ કમ્પ્યૂટર પર લૂપમાં ફરી રહ્યું છે. શબ્દો તો મને ખૂબ જ ગમ્યા.

માના કે હમ યાર નહીં

લો તય હૈ કી પ્યાર નહીં
ફિર ભી નઝરે ના તુમ મિલાના
દિલ કા એતબાર નહીં

સંબંધનો એ કેવો પડાવ છે કે એ લોકો મિત્રો તો નથી જ. પરંતુ એમની વચ્ચે પ્રેમ પણ નથી. કદાચ એમનો સંબંધ પૂરો થઈ ગયો છે કારણ કે બિંદુ (પરિણીતિ ચોપરા) પોતે જ્યાં બેઠી છે એની બાજુની ખુરશી ખાલી છે, એ ત્યાં જુએ છે, ત્યાં એક સમયે કોઈ બેઠેલ હશે. એ યાદ એને છોડતી નથી. એ પોતાની બાજુના ખાલી ઓશીકાં પર હાથ ફેરવે છે, જ્યાં એક સમયે કોઈ એની પાસે સૂતેલ હશે. એ યાદો દિમાગનો કબજો લઈ લે છે. એને ભરોસો નથી પોતાના દિલ પર કે એ બધી યાદો સાથે એ વ્યક્તિ તરફ ફરીથી લાગણી જાગી જશે. 







રાસ્તે મેં જો મિલો તો

હાથ મિલાને રુક જાના
સાથ મેં કોઈ હો તુમ્હારે 
દૂર સે હી તુમ મુસ્કાના
લેકિન મુસ્કાન હો ઐસી
કે જિસમેં ઇકરાર નહીં
નઝરો સે ના કરના તુમ બયાં
વો જિસસે ઇકરાર નહીં

આ શબ્દો પરથી એ વાતને વધારે પુષ્ટિ આપે છે કે એમનો સંબંધ ભૂતકાળ છે. એ ક્યારેક રસ્તામાં એમ જ મળી જવાય તો હાથ મિલાવવા માટે રોકાવાનું કહે છે. પરંતુ, સાથે કોઈ હોય તો ફક્ત દૂરથી જ એ પ્રકારે મોં મલકાવવાનું કહે છે જે પ્રકારે કોઈને ખ્યાલ ન આવે. એ આસપાસનાં લોકોને જણાવવા ઇચ્છતી નથી.





ફૂલ જો બંધ હૈ પન્નો મેં તો 
ઉસકો ધૂલ બના દેના
બાત છીડે જો મેરી કહીં
તુમ ઉસકો ભૂલ બતા દેના
લેકિન વો ભૂલ હો ઐસી
જિસસે બેઝાર નહીં
તુ જો સોયે તો મેરી તરહ
ઇક પલ કો ભી કરાર નહીં

કોઈ પુસ્તકનાં પાનાંઓની અંદર મૂકેલ ફૂલ મોટેભાગે કોઈની યાદગીરી માટે હોય છે, એ ફૂલ ને ધૂલ બનાવવાનો મતલબ છે એ ફૂલ ફેંકી દેવું અને એ યાદને જવા દેવી. કોઈ દિવસ એની વાત નીકળે તો પણ ભૂલ ગણી લેવાનું કહ્યુ છે. એ પ્રકારની ભૂલ કે એવું પણ ન લાગે કે એ વાતમાં રસ નથી.


પરિણીતિની આંખોનો ક્લોઝ અપ શોટ કેટલો સુંદર છે. તો એ છેલ્લા સ્ક્રીનશોટ સાથે ફિલ્મનાં રજૂ થયેલ બે ટીઝર્સ અને આજે રજૂ થયેલ ગીત... છેલ્લે પરિણીતિ પોતાની જાતને અરીસામાં જોઈને મલકાય છે, કદાચ એ યાદોને જવા દઈને આગળ વધવાના રૂપક સાથે એ રૂમની બહાર નીકળી જાય છે... 










No comments:

Post a Comment