Tuesday 25 April 2017

હેપી બર્થડે અરિજિત સિંઘ




આજે કરોડો દિલો પર રાજ કરનાર અરિજિત સિંઘ ખૂબ લાંબી સફર ખેડીને અહીં સુધી પહોંચ્યો છે. તેની મા બંગાળી તેમજ પિતા પંજાબી છે. મા તરફથી એને સંગીતનો વારસો મળ્યો છે, કારણ કે મા ગાયિકા અને સંગીતમાં રસ ધરાવનાર, મામા તબલાવાદક, નાની પણ ગાયિકા અને માસીએ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલી! અરિજિતે પણ ભારતીય શાસ્ત્રીય સંગીત અને તબલાની તાલીમ લીધી છે. એણે બંગાળમાં સર્વોચ્ચ માનવામાં આવતું 'રબીન્દ્ર સંગીત' પણ શીખ્યું છે, જે સંગીતને રવીન્દ્રનાથ ટાગોરનું સંગીત કહે છે. ટાગોરની કવિતાઓ, ગીતો, વાર્તાઓ અને નવલકથાઓમાંથી ટાગોરે લખેલાં શબ્દોનું સંગીત. આ ઉપરાંત તેણે પોપ સંગીતની પણ તાલીમ લીધી છે. સોની ટીવી પર પ્રસારિત થયેલ રિયાલિટી શો 'ફેમ ગુરુકુળ' (૨૦૦૫) દ્વારા અરિજિત દુનિયાની સામે આવ્યો. એ વખતે શો ન જીતેલો અરિજિત આજે સહેજ પણ દુ:ખી નહીં હોય, કારણ કે પછીથી એણે જીતેલા ફિલ્મફેર એવોર્ડ્સનું એ જ ચેનલ સોની ટીવી પર પ્રસારણ થયું છે!


જિંદગી તમારી પાસેથી કંઈક છીનવી લે, તો એનાથી પણ વધારે તમે જિંદગી પાસેથી પોતાની મહેનત અને આત્મવિશ્વાસના બળે ચોક્કસ મેળવી શકશો, એ સંબંધિત વાત પુરવાર કરતો જીવતો જાગતો પ્રેરણાસ્ત્રોત સમાન આ ગાયક આજે ત્રીસ વર્ષ પૂરા કરી રહ્યો છે. ગીતો ઉપરાંત અરિજિત એક ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે, જેની પર કામ ચાલી રહ્યું છે, આ ઉપરાંત અરિજિત સમાજસેવા માટે એક એનજીઓ 'લેટ ધેર બી લાઇટ' પણ ચલાવે છે, જે ખૂબ જ ગૌરવની વાત છે. હિન્દીમાં એણે ગાયેલા ગીતો આપણા બધાનાં મનપસંદ જ છે, એટલા માટે અહીં હું એ ગીતો વિશે ઉલ્લેખ કરવા માંગતો નથી, કારણ કે એ આપણે જાણીએ છીએ. પણ, એણે ગાયેલ બંગાળી ગીતો ક્યારેક સાંભળજો, શબ્દો નહીં સમજાય તો પણ એની અંદર ખોવાઈ જશો! હિન્દી અને બંગાળી ઉપરાંત તમિલ, તેલુગુ, મરાઠી, મલયાલમ, આસામી, કન્નડ ભાષામાં એણે ગાઈને પોતાની જાતને પુરવાર કરી છે. આપણી ભાષા ગુજરાતીમાં પણ એણે ગાયેલ 'રોંગ સાઇડ રાજુ' ફિલ્મનું 'સતરંગી રે' સાંભળીએ ત્યારે સહેજે વિશ્વાસ ન આવે કે આ માણસ ગુજરાતી નથી, એટલી સુંદર અને લયબધ્ધ રીતે એ ગીત કાનમાં ગૂંજે છે... આ ગીતમાં નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવેલી એક પંક્તિ સાંભળજો, ત્યારે તમને ખ્યાલ આવી જશે કે કેમ અરિજિતને 'શબ્દોને આત્મા' અને 'ગીતને જિંદગી' આપનાર ગાયક તરીકે ઓળખવામાં આવે છે! એ પંક્તિ હું અહીં નીચે લખી રહ્યો છું. હેપી બર્થડે અરિજિત! વી લવ યુ!! 

ઝાકળ જેવી, 
આ બે પળનો, 
સાગર જેવો હરખ,
જળની છે કે, 
મૃગજળની છે, 
શેની છે આ તરસ 

(ગીત - સતરંગી રે)
(ગીતકાર - નિરેન ભટ્ટ)
(સંગીત - સચિન-જીગર)
(ફિલ્મ - રોંગ સાઇડ રાજુ)

Monday 24 April 2017

જામનગર, દ્વારકા, સોમનાથ અને જૂનાગઢ (૨૦૧૧)




મોટેભાગે તારીખો હું ભૂલી શકતો નથી. અચાનક કેલેન્ડર પર નજર પડી અને આ તારીખો યાદ આવી જ્યારે છ વર્ષ પહેલાં ફેમિલી સાથે કેટલીક જગ્યાઓએ ફરવા ગયેલો... એ પછી કમ્પ્યૂટરની અંદર ફોટોગ્રાફ્સ જોવાથી તરત જ એ યાદોમાં ખોવાઈ ગયો અને થયું કે કંઈક લખું એ વિશે... એ બધી જ પળો એમની એમ યાદ નથી, ડાયરીમાં પણ ખૂબ ઓછી માહિતી લખી છે, ફોટોગ્રાફ્સની ક્વોલિટી પણ એટલી સારી નથી. પરંતુ તેમ છતાં ધૂંધળી એવી કંઈક યાદો સચવાયેલી છે! ૨૧થી ૨૪મી એપ્રિલ, ૨૦૧૧... ચાર દિવસો, ગાંધીનગરથી જામનગર, ત્યાંથી દ્વારકા, પછી સોમનાથ અને છેલ્લે જૂનાગઢ... કેટલીક વસ્તુઓ ખરેખર નવાઈ પમાડે છે, છ વર્ષ પહેલાંના ફોટોગ્રાફ્સ, ચહેરા પરનો દેખાવ બદલાઈ જવાની સાથે ઘણી જ વસ્તુઓ બદલાઈ ગઈ છે... ઘણી વસ્તુઓ મને વિસ્તારપૂર્વક યાદ નથી, એટલે આ પોસ્ટ ખૂબ ટૂંકી લખી છે.

સૌ પ્રથમ અમે લોકો જામનગર ગયેલા, ત્યાં ડેડીના મિત્ર સુરેશ અંકલને ત્યાં રોકાવાનું હતું. આગલે દિવસે એમના સસરાજી ગુજરી ગયેલા, તેમ છતાં એ લોકોએ અમને કહ્યું નહોતું, અમારી ટ્રીપ ન બગડે એ માટે. અમને ત્યાં જ રોકાવાનો આગ્રહ કરીને સવાર-સાંજ ભરપેટ નાસ્તો, આન્ટીનાં ખુદના પિતા ગુજરી ગયા હોવા છતાં એમણે પોતાનું જ રાંધેલું ખવડાવેલું, આ પ્રકારના સંબંધો મળવા ખૂબ જ મુશ્કેલ છે. સુરેશ અંકલનું ઘર પૂરા રજવાડી ઠાઠ પ્રમાણે એમણે થોડા સમય પહેલા રિનોવેટ કરાવેલું હતું, જૂની હવેલી જેવા બારણાં અને બારીઓ, દીવાલો પર જૂની તલવારો, જાણે જૂનો કોઈ ઈતિહાસનો સમય પાછો આવી ગયેલો! મમ્મી-ડેડી સવારે આન્ટીને ત્યાં જઈ આવેલા, બેસણું અને એ બધુ રાખેલ ત્યાં એમના પિયરમાં, એ પણ જામનગરમાં જ હતું અને નજીકમાં જ. પરંતુ અમે એ પછી ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યુ, અમારે લીધે એમને વધારે તકલીફ ન પડે તે માટે, એટલે જામનગરમાં ખાસ કશું અમે જોઈ શક્યાં નહોતા, રાત્રે લાખોટા તળાવ જોયેલું, જેનો રાતનો ફોટો બિલકુલ જ ક્લિયર નથી. ચાલતી બસમાંથી જોયેલો વોરાનો હજીરો યાદ છે.


વોરાનો હજીરો, જામનગર

બીજે દિવસે એટલે કે ૨૨મી એપ્રિલ ૨૦૧૧નાં રોજ અમે દ્વારકા બેટની મુલાકાત લીધી હતી અને એ રાત્રે દ્વારકાધીશનાં દર્શન કર્યા હતાં. આશરે કલાકથી વધારે દરિયામાં હોડી દ્વારા મુસાફરી કરી હતી. સામે હતો ખારો દરિયો, કાળઝાળ ગરમી અને તેમ છતાં પાણી જોઈને પ્રસરતી થોડીક ઠંડક! કેટલીક હોડીઓની ઉપર ભારતીય ધ્વજ લહેરાતો હતો, માછલીઓની તીવ્ર વાસ આવતી હતી. અમારી એ બપોર એ રીતે મુસાફરીમાં ગયેલી. રાત્રે મંદિરમાં દર્શન કરી હૉટેલનાં ધાબે બેઠેલો એ અહેસાસ મને હજુ યાદ છે. ઠંડો ઠંડો એ પવન અને એ શાંતિ, એ યાદ હું શબ્દોમાં સમાવી ન શકું... બીજે દિવસે ૨૩મી તારીખે અમે સોમનાથ ગયેલા, ફક્ત ખૂબ લાંબી મુસાફરી કરીને એટલું જ યાદ છે. સોમનાથ પણ દર્શન કરીને ચોપાટી પર ખાસ રોકાણ નહોતું કર્યુ. સોમનાથનો દરિયો દ્વારકાનાં પ્રમાણમાં શાંત લાગતો હતો, કદાચ સાંજ હોવાને કારણે. ત્યાં દરિયાકિનારે આથમતો સૂર્ય જોયેલો. દરિયાકિનારેથી દેખાતું સોમનાથનું મંદિર, જે કેટલાય વર્ષોથી એમ જ અડીખમ ઊભું હતું, આવી કેટલીય સાંજે ત્યાં સૂરજ ડૂબતો હશે! દરિયાકિનારે કોઈએ કરેલી સેન્ડ આર્ટ મને યાદ છે. કોઈએ શિવ, ગણપતિ અને એ પ્રતિકૃતિઓ બનાવેલી અને એક દુર્ગાની મૂર્તિ. રેતીમાંથી જ બનાવેલી મોહક કળા, મુગ્ધ થઈને હું જોઈ રહેલો ખાસ્સા સમય સુધી...


બેટ દ્વારકા

સોમનાથનો દરિયાકિનારો અને ત્યાંથી મંદિરનું દ્રશ્ય

સોમનાથના દરિયાકિનારે કોઈએ કરેલી સેન્ડ આર્ટ


છેલ્લો દિવસ અમે ગાળેલો જૂનાગઢમાં, ડેડીનાં બીજા એક મિત્ર કલસરીયા અંકલને ત્યાં. અમે લોકોએ એ દિવસે જુમા મસ્જિદ, અડી કડી વાવ, નવઘણ કૂવો, સક્કરબાગ ઝૂ અને કૃષિ યુનિવર્સિટી જોયેલી. અમુક વસ્તુઓનાં ઐતિહાસિક મહત્વ વિશે હું લખવા માંગતો નથી, કારણ કે એ બધુ જ ગૂગલ પર મળી રહેશે. હું ફક્ત મારી યાદો લખી રહ્યો છું. ઉપરકોટ જૂનાગઢ શહેરની થોડેક ઉપર આવેલો વિસ્તાર છે, જ્યાં નરસિંહ મહેતા રહેતા હતાં એ વિસ્તારમાંથી પસાર થઈને જવું પડે છે. એ સમયે વપરાતી તોપો, ઉંચેથી દેખાતું જૂનાગઢ શહેર, રા'ખેંગાર અને રાણકદેવીનો ઈતિહાસ લઈને ઊભું હતું. એક ભોંયરુ હતું ત્યાં નજીકમાં, જે જૂના સમયમાં છેક સોમનાથ સુધી જતું હતું એમ માનવામાં આવે છે. નવઘણ કૂવો અને અડી કડી વાવ ભરબપોરે ખૂબ ભેંકાર લાગતી હતી. જૂની દીવાલોની આસપાસ ઉડતા કબૂતરોની પાંખોથી અડી કડી વાવમાં પડઘા પડતા હતાં અને એક છૂપો ડર લાગતો હતો, કારણ કે વાવનું બાંધકામ એ રીતે હતું કે જેમ નજીક જઈએ એમ નીચાણ આવે. નીચે ગબડી પડવાનાં ભય સાથે એમ લાગતું હતું કે દીવાલો એકબીજાની નજદીક આવી રહી હતી! 

જુમા મસ્જિદ, ઉપરકોટ, જૂનાગઢ

નવઘણ કૂવો અને અડી કડી વાવ, જૂનાગઢ

ઉપરકોટ પરથી દેખાતો ગિરનાર

સરદાર પટેલ દરવાજો, જૂનાગઢ

એ બપોરે પછી અમે સક્કરબાગ પ્રાણી ઉદ્યાન જોયેલો, જાતજાતનાં પંખીઓ, પ્રાણીઓ અને બગીચાઓથી ભરપૂર એ પ્રાણીસંગ્રહાલય એવું જ હતું જેવા મોટાભાગનાં પ્રાણીસંગ્રહાલય હોય છે. વૃક્ષો પર લટકતાં વેલાઓ, સફેદ મોર અને હંસ એટલું જ મને યાદ છે ફક્ત. એ પછી અમે ગયાં હતાં કૃષિ યુનિવર્સિટી કેમ્પસ, જૂનાગઢ. મારા ડેડીએ ત્યાં એમની માસ્ટર ડિગ્રી મેળવી હતી, માસ્ટર ઓફ સાયન્સ ઇન એગ્રિકલ્ચર. ડેડી એમની કૉલેજની જૂની યાદોમાં ખોવાઈ ગયેલા, એમની હોસ્ટેલનો રૂમ જોયેલો અમે લોકોએ, એક તળાવ હતું કેમ્પસની અંદર, પરી તળાવ. પરીની એક મૂર્તિ હતી ત્યાં અને બંધિયાર પાણી. ડેડી કહેતા હતા કે એ લોકો જ્યારે વાંચીને કંટાળી જાય ત્યારે સાંજે એ તળાવની પાળ પર બેસતા. મેં ત્યાં થોડો સમય પસાર કર્યો હતો એ તળાવની પાળ પાસે, ભરબપોરે કંઈક રાહત લાગતી હતી પણ એ સાથે શૂન્યતા જેવી કંઈક અલગ જ લાગણી મને ઘેરી વળી હતી. ડેડી ભણતા હતાં ત્યારનું અને આ સમયનું કેમ્પસ બદલાઈ ગયેલું, દીવાલો પરનાં રંગો, દેખાવ, ગોઠવણી, કેટલીક નવી ઈમારતો આવી ગયેલી, ફક્ત નહોતી બદલાયેલી તો એ યાદો જ હતી. જે ક્યારેય બદલાતી નથી. કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી યાદો. એ યાદો એમની કોલેજ સમયની હોય કે મારી આ છ વર્ષ જૂના પ્રવાસની કે કોઈ પણ બીજી બનેલી ઘટનાઓ કે વ્યક્તિઓની, હમેંશા પાસે સંભાળીને રાખવાથી કોઈ અમૂલ્ય ખજાનો સાચવ્યો હોય એવી લાગણી થઈ આવે છે... 

સક્કરબાગ પ્રાણી ઉદ્યાન, જૂનાગઢ

પરી તળાવ અને કૃષિ યુનિવર્સિટી કેમ્પસ, જૂનાગઢ

Saturday 22 April 2017

નીલ બટ્ટે સન્નાટા (૨૦૧૬) - જિંદગીનું ગણિત અને સપનાઓ




અમે 'કિ એન્ડ કા' જોવા ગયેલા અને આ ફિલ્મનું ટ્રેલર જોયેલું, ત્યારે મેં નક્કી કરેલું કે આ ફિલ્મ હું ચોક્કસ જોઈશ. ટ્રેલરમાં હળવી કોમેડીની વચ્ચે એક ખૂબ મહત્વનો એવો આ ફિલ્મનો વિષય જોઈને ખૂબ જ ખુશી થયેલી. કારણ કે, 'બેટી બચાવો, બેટી પઢાઓ' વિશે મોટી મોટી વાતો સૌ કરે છે. પણ, અમલમાં મૂકવાનું થાય ત્યારે હજુ પણ ભારતની ઘણી જગ્યાઓએ સત્ય શું છે એ આપણે બધા જ જાણીએ છીએ. આ ફિલ્મ ભણતરની સાથે સાથે સપનાઓ અને વ્યક્તિગત જિંદગી પર ભાર મૂકે છે. ચંદા (સ્વરા ભાસ્કર) એની દીકરી અપેક્ષા/અપ્પુ (રિયા શુક્લા) પાસે આશા રાખે છે કે એ જિંદગી વિશે કંઈક વિચારે અને એની જિંદગીને વધારે સારી બનાવવા માટે ધોરણ ૧૦ પછી આગળ શું કરવું છે એ વિશે વિચારે. પણ અપ્પુની તો કંઈક અલગ જ દુનિયા છે, એને ના તો ગણિત સમજમાં આવે છે ના જિંદગી. આ એ ઉંમર છે જ્યારે જિંદગી એટલે શું એ જ ખબર નથી હોતી. (જો કે ઘણાને આખી જિંદગી પતી જાય તો પણ ખ્યાલ નથી આવતો કે જિંદગી શું છે!) શરીરની અંદર ફેરફારો થાય છે અને પ્રત્યેક ક્ષણે મનની અંદર પણ કંઈક અલગ જ ચાલતું હોય છે. બધા ટીનેજર્સની હાલત મોટેભાગે આ જ હોય છે, કારણ કે આ મારો અને તમારો બધાનો અનુભવ છે. ફિલ્મની અંદર બીજો એક ખૂબ સરસ કટાક્ષ કર્યો છે, ટ્યુશન પ્રથા વિશેનો. વાત એ છે કે ફક્ત ટ્યુશન સફળતા અને કારકિર્દીમાં ભાગ નથી ભજવતું, મહેનત અને ધગશ સૌથી મોટી વસ્તુ છે. આખી ફિલ્મ એ જ બાબત પર છે કે દરેક માણસ જ્યાં છે ત્યાંથી થોડુ વધારે આગળ આવે અને જિંદગીને બહેતર બનાવે. આ ફિલ્મ જેણે પણ ન જોઈ હોય એ લોકોએ જરૂર જોવી, ફિલ્મની અંદર રહેલી જિંદગી વિશેની નાની વાતો હસાવવાની સાથે સાથે આંખમાં ભરપૂર આંસુ લઈ આવે છે... આજે ફિલ્મને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ફિલ્મ વિશે એક ટૂંકી પોસ્ટ પરંતુ ગણિત સાથે જોડીને. કારણ કે એક મા પોતાની દીકરીને આગળ વધતી જોવા માટે ફિલ્મની અંદર શું શું કરે છે એ વિશે મેં કંઈક લખ્યું જ છે, બીજી બે ફિલ્મો 'ઈંગ્લિશ વિંગ્લિશ' અને 'ક્વીન' સાથે જોડાણ કરીને. (લીંક આ પોસ્ટને અંતે)

ફિલ્મની અંદર ગણિત ન આવડવાને કારણે થતી મુશ્કેલીઓ પર ભાર પર મૂકવામાં આવ્યો છે. જિંદગીની મુશ્કેલીઓ પણ ક્યારેક ગણિત જેવી હોય છે, જેનો ઉકેલ તરત મળતો નથી. આપણે ધીરે ધીરે ગણિતનો દાખલો સમજીએ છીએ, તેમ જીવનની સમસ્યાઓને સમજવી પડે છે. ક્યારેક એમ બને છે કે આપણે ખૂબ જ પ્રયત્નો કરીએ છીએ અને સમસ્યાઓનો ઉકેલ આવતો જ નથી. દાખલો પણ ગમે તેટલી વાર ગણીએ છીએ તો પણ ક્યારેક જવાબ આવતો નથી. પરંતુ થાકી હારીને દાખલાનો જવાબ અને સમસ્યાનો ઉકેલ શોધવાની મથામણ મૂકી દેવાની નથી. જ્યારે બધી જ ગણતરીઓ ખોટી પડે છે ત્યારે એક નવા પાનાંથી શરૂ કરીને ક્યારેક પહેલેથી ગણતરીઓ માંડીને જોઈ લેતા જવાબ સાચો પણ મળી આવી શકે છે. એ જ રીતે શાંતિથી વિચારીને સમસ્યાની શરૂઆત ક્યાંથી થઈ એ સમજીને દરેક તબક્કે ઉકેલ વિચારવાથી સમસ્યા જતી રહે એમ પણ બને. ફિલ્મમાં એક ગીત છે, 'મેથ્સ મેં ડબ્બા ગુલ' ... જિંદગી પણ એવી જ છે, આપણને પણ ક્યારેક કોઈ સમજ પડતી નથી કે આગળ શું થશે, અને લાગે છે કે અત્યાર સુધી જીવેલી જિંદગી નકામી થઈ ગઈ કે હવે રોજ એક જ જેવી જિંદગી જીવવાની છે... વગેરે. પરંતુ દાખલો અને જિંદગીની સમસ્યાઓ ક્યારેક તો પૂરી થશે જ થશે!




ફિલ્મમાં અમરનું પાત્ર એક સીનમાં ચંદાને સમજાવે છે કે ગણિતને રોજિંદી જિંદગી સાથે જોડીએ તો ગણિત મજેદાર બની જાય છે. બીજા એક સીનમાં જ્યારે અપેક્ષા/અપ્પુ અમરને પૂછે છે કે એ દાખલાની રકમ આટલી શાંતિથી અને વધારે સમય સુધી કેમ વાંચે છે, ત્યારે અમર જવાબ આપે છે કે જવાબ સવાલની અંદર જ છૂપાયેલો હોય છે! ગણિતને રોજિંદા જીવન સાથે જોડીને ચંદા અને અપ્પુ સૂત્રો યાદ રાખતાં શીખે છે. અમરની 'સવાલની જ અંદર જવાબ છુપાયેલ હોય છે' એ વાતને જિંદગી સાથે જોડીએ તો કેટલો સુંદર મતલબ થાય છે કે સમસ્યાનો ઉકેલ પણ કદાચ એની સાથે જ જોડાયેલો હોય છે. એક માન્યતા છે કે જ્યારે સમસ્યા હોય છે ત્યારે એનો ઉકેલ હોય જ છે, આપણને ક્યારેક ઉકેલ પાસે જ હોય છે પરંતુ મળતો નથી, કારણ કે ધ્યાન જ એ તરફ જતું નથી. પરંતુ ભીંત ફાડીને પણ પીપળો તો ઉગે જ છે, તો સમસ્યાઓનો ઉકેલ શોધવો એ ખૂબ નાની વાત માની લઈએ તો કદાચ ઉકેલ મેળવવામાં સરળતા પણ રહે...




ફિલ્મની અંતે સપનાઓ વિશે ખૂબ સુંદર વાત કહેવામાં આવી છે. મા પોતાની દીકરીને સમજાવે છે કે નિષ્ફળતા એ કોઈ બુરાઈ નથી. નિષ્ફળ થઈને પણ સફળ તો થઈ જ શકાય છે એ વાત આપણે બધા જ જાણીએ છીએ. મા દીકરીને કહે છે એનું સપનું એનું પોતાનું છે અને આગળ સમજાવતા કહે છે કે, ઘણા લોકો એનાં સપનાઓની મજાક ઉડાવશે, પરંતુ મા દીકરીને એ તરફ ધ્યાન ન આપવાનું સૂચવે છે. મા એ પણ કહે છે કે ખૂબ ઓછા લોકો એ સપનાઓની કદર કરશે, એ લોકોને પોતાની પાસે જ રાખવાની મા શિખામણ આપે છે. મા સમજાવે છે કે રસ્તામાં મુશ્કેલીઓ પણ જરૂરથી આવશે જ, પરંતુ પોતાનાં સપનાને પોતાની નજરથી દૂર ન થવા દેવું જોઈએ, કારણ કે જિંદગીમાં આગળ વધવા માટે એ ખૂબ જ જરૂરી છે. ફિલ્મની અંદર મતભેદો રાખીને ફરતી મા-દીકરી આ સંવાદની અંદર અને આ દ્રશ્યમાં જાણે એકરૂપ થઈ જાય છે, એ વાતની સ્પષ્ટતા રૂપે એ સીનમાં બંનેના કપડાઓનો રંગ પણ કદાચ એક રાખ્યો છે!

સંબંધિત મેં લખેલી બીજી પોસ્ટની લીંક - 
શશિ, ચંદા અને રાની - જિંદગીને વધારે સારી બનાવવા માટે પ્રેરણાસ્ત્રોત






Friday 21 April 2017

એકલતાના કિનારા - ચંદ્રકાંત બક્ષી




પ્રેમ વિશે કે સાથે જીવવા વિશે કે લગ્ન વિશેનાં રંગીન સ્વપ્નો મોટાભાગનાં લોકો જોતા હોય છે ત્યારે એ લોકોમાંથી ઘણા લોકો એ જ રીતે વિચારતા હોય છે કે ક્યારેક કોઈ એક વ્યક્તિ આવશે, જે આપણને બધી જ જૂની તકલીફો ભૂલાવી દેશે, આપણો ખરાબ ભૂતકાળ એને કહેવા માત્રથી જ દિલની અંદર કંઈક ટાઢક પ્રસરી જશે, સાથે જીવન જીવવા અંગેના જોયેલા એ બધા સ્વપ્નો એ વ્યક્તિને મળીને સાકાર થશે, એની સાથે વાતો વહેંચવાથી આખા દિવસનો થાક ઊતરી જશે, નાઇટલેમ્પનાં ઝાંખા અજવાળામાં એની સાથે પથારીમાં ભેટીને પડ્યા રહીને કે દરિયાકિનારે બેસીને કે કોઈ અજાણ્યા હિલ સ્ટેશન પર એમ જ થોડા દિવસ રહીને જિંદગી ખુશીઓથી ભરાઈ જશે. પરંતુ એક છત નીચે જીવન શરૂ થાય છે, સાથે રહેવાનું શરૂ થાય છે, ત્યારે વાસ્તવિકતાની શરૂઆત થાય છે. ત્યારે આ પ્રકારનાં જોયેલા સ્વપ્નો એકબીજાની ઇચ્છા-અનિચ્છાઓ, નાના મતભેદો અને ન પૂરા કરાયેલા વચનોમાં પલટાઈ જાય છે. એ પછી જીવન વિશે અને પ્રેમ વિશે કે સાથે રહેવા વિશે કે લગ્ન વિશેનું સત્ય જાણવા મળે છે.

જીવનમાં પળેપળ જેને સાથ આપીએ અને સામે એનો પણ આપણને એ જ રીતે સાથ મળે એ વ્યક્તિને 'જીવનસાથી' કહી શકાય. નાના મતભેદો, રિસામણા-મનામણા કે મોટા ઝઘડા પછી બેમાંથી કોઈ એક વ્યક્તિ ચાલી જાય અને બંને વ્યક્તિઓને જો એકબીજાની ખોટ લાગે, એકબીજા વગર એકલતા સતાવે, યાદોમાં દિલ તરફડે, એ જ સંબંધ એ પછી સાર્થક થઈ શકે. જો છૂટા પડ્યા પછી એમ થતું હોય કે સારુ થયું એ વ્યક્તિ જીવનમાંથી ચાલી ગઈ, તો અફસોસ કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે એ વ્યક્તિ તમારે માટે સર્જાઈ જ નહોતી.


આ નવલકથાના પાત્રો નીલ અને નીરા એકબીજાનો પ્રેમ અને સાથ ઝંખે છે. પરંતુ એની સાથે જ જરૂરી છે સમજણ, સામેની વ્યક્તિને સમજવી. ફક્ત પ્રેમ માંગ્યા જ કરો અને સાથ ન આપો, તો એ સંબંધ સાર્થક નથી. એ જ રીતે જેની પાસેથી સાથની અપેક્ષા છે એને પ્રેમ આપવો જ રહ્યો, એ વ્યક્તિને સમજવી જ રહી, એ વ્યક્તિનાં સ્વતંત્ર વિચારોને પણ માન આપવું જ રહ્યુ. આ નવલકથાની અંદર લખેલી ઘણી વાતો આજે આટલા વર્ષો પછી પણ એટલી જ સત્ય છે. સંબંધ વિશેની વાતો તો ખરી જ, પરંતુ જૂની સ્કૂલ, કૉલેજનું વર્ણન, જૂના દોસ્તોનું વર્ણન, બેકારી સમયે દોસ્તોનો સહારો, જગ્યાઓનું વર્ણન - કલકત્તા; ઓરિસ્સાનાં પુરી અને કોણાર્ક સૂર્ય મંદિર; મુંબઈ, એક નાનકડું ગામ... આ બધુ જ જીવનની વાસ્તવિકતા જેટલું સરસ લખવામાં આવ્યું છે. અને યાદો! જૂની ખરબચડી સપાટી ધરાવતી યાદોથી માંડીને રૂની પથારી જેવી યાદો, બક્ષી તો બક્ષી જ છે! હમણાંથી પુસ્તકો વિશે જે થોડા શબ્દો ખૂબ જ ગમ્યા હોય એ લખવાની ટેવ પડી છે, એ આ સાથે લખી રહ્યો છું, એ ઉપરાંત આ નવલકથાની અંદર રહેલા લગ્ન વિશેના વિચારો અને કલકત્તાનાં વર્ણન વિશે બીજા બ્લૉગ પર લખાયેલી પોસ્ટની લીંક આ પોસ્ટને અંતે શેર કરી રહ્યો છું... બક્ષીની દુનિયામાં ખોવાઈ જવા માટે આપનું સ્વાગત છે!


*********************************

નીરા મારી બાજુમાં આવીને સૂઈ ગઈ. અમે બન્ને આંગળીઓ ભિડાવીને સૂઈ ગયાં.
(પૃષ્ઠ - ૨)

મારો ભૂતકાળ મને બરાબર યાદ નથી, કારણ કે એ તૂટેલો છે અને એનો રંગ ઊડી ગયેલો છે.
(પૃષ્ઠ - ૩)

મુંબઈ, મને ડર લાગે એટલું વિચિત્ર લાગતું હતું.
(પૃષ્ઠ - ૭)

બાપાજીને માટે મને હમેંશા માન રહ્યું છે, કંઈક અંશે ન વાંચેલી ચોપડીના લેખક માટે હોય એવું.
(પૃષ્ઠ - ૯)

એ હોટેલમાં જઈને હું બેસું છું ત્યારે મને લાગે છે કે જિંદગીની ચહલપહલ, દોડાદોડી, અતૃપ્તિઓ બધું જ દૂર ચાલ્યું ગયું છે.
(પૃષ્ઠ - ૧૭)

કૉલેજના દોસ્તો, જૂનાં ફિલ્મી ગીતોના શબ્દોની જેમ કોઈ કોઈ વાર યાદ આવી જાય છે. કોઈ કોઈ વાર મળી જાય છે અને થોડીઘણી વાતો કરીને અદ્રશ્ય થઈ જાય છે. કોઈ કોઈ કૉલેજના દિવસો પછી દેખાયા જ નથી. કોઈ કોઈ દેખાયા છે અને ઓળખાય એવા રહ્યા નથી. કોઈ દેખાય છે અને ઓળખાય છે અને એ ઓળખાણોને આગળ વધારવા માગતા નથી.
(પૃષ્ઠ - ૧૮)

'કૉલેજનાં દિવસો એ દરેકના જીવનના સુખીમાં સુખી દિવસો માનવામાં આવે છે. જવાબદારી વિનાના, ચિંતા વિનાના, બેફામ મસ્તીના એ દિવસો છે, હું એમ નથી માનતો. હું ધારું છું, એ માણસના જીવનના સૌથી અંધકારમય દિવસો છે, જ્યારે માણસ પાસે દિશા નથી હોતી અને ધ્યેય બહુ ધૂંધળું હોય છે. ભવિષ્યનો એ વખતે વિશ્વાસ નથી હોતો અને નિરાશા એટલી બધી ઘેરાયેલી હોય છે કે એને સિગારેટના ધુમાડાઓથી ઢાંકવાની કોશિશ કરવી પડે છે.'

(પૃષ્ઠ - ૨૩)

'કલકત્તા એ હિંદુસ્તાનનું મોટામાં મોટું ગામડું છે.'

(પૃષ્ઠ - ૨૩)

ફૂટપાથ પર ઠંડી હવા ફૂંકાતી હતી. ફૂટપાથો અને ખુલ્લી સડકોથી દોસ્તી વધતી જતી હતી.

(પૃષ્ઠ - ૩૦)

અમે બહાર નીકળતાં, નાની નાની ખરીદી કરતાં અને મોટા સ્ટોરોનાં શૉ-કેસોની વસ્તુઓ જોઈને આગળ ચાલતાં. ખિસ્સામાં બહુ પૈસા હતા નહીં, જેનું બિલકુલ દુ:ખ ન હતું. આગળ ચાલીને અમે બિસ્કિટ ખરીદતાં, પછી બેબી સોપ, બેબી પાઉડર... નીરા પૂછતી, 'કોને માટે લે છે આ બધું?'

'કેમ, બાળક ન હોય એટલે લેવાય નહીં? બેબી સોપ મારે માટે, પાઉડર તારે માટે અને બિસ્કિટ આપણાં બન્ને માટે!'
અમે બન્ને હસતાં. બંગાળી દુકાનદાર સમજતો નહીં. એ પણ હસતો.
(પૃષ્ઠ - ૭૪-૭૫)

એક વખત મેં પૂછ્યું, 'નીરા, તને મુંબઈ યાદ નથી આવતું?'

'ખાસ નહીં.'
'હવે કલકત્તા ફાવી ગયું કે પછી હું ફાવી ગયો?'
નીરા મારી સામે જોઈને બદમાશીથી હસી, 'તું ફાવી ગયો છે, મને પરણીને!' 
(પૃષ્ઠ - ૮૩)

દરવાજો ખુલ્લો રહ્યો. દરવાજાની ભીંત પરની ઘડિયાળ બંધ થઈ ગઈ હતી.

(પૃષ્ઠ - ૧૨૧)

'હમેંશા માણસને જૂની વાતોમાં વધારે સુખ જ દેખાય.' 

(પૃષ્ઠ - ૧૩૪)

એકલતા, એ જ માણસની ખરી સ્થિતિ હતી - ગર્ભાશયની એકલતા, મૌતની એકલતા, સ્ત્રી વિનાની પથારીઓની એકલતા, મંદિરોનાં ઘંટારવોમાં બહેર મારી ગયેલા વિચારોની એકલતા... જુદાં જુદાં સ્વરૂપોમાં માણસ એ જુદી જુદી રીતે જીવી લેતો હતો અને એનો ઇલાજ શોધતો ફરતો હતો.

(પૃષ્ઠ - ૧૪૫)

મેં બગાસું ખાધું, આંખો લૂછી અને રાતભર હવા ખાઈને ફૂલી ગયેલી ડાબા હાથની ત્રીજી આંગળી પરની 'વેડિંગ રિંગ' મેં જમણા હાથની ત્રીજી આંગળીએ પહેરી.

(પૃષ્ઠ - ૧૪૬)

'કોઈ વ્યક્તિ ન હોય ત્યારે જે દુ:ખ થાય એ જ પ્રેમનું સાચું પ્રમાણ છે એમ મને લાગે છે.'

(પૃષ્ઠ - ૧૫૧)

'દોસ્તોને ડિવૉર્સ આપી શકાતો નથી!' એ મલક્યો.

'સાલા, બદમાશ!' મને એને ચુંબન કરવાનું મન થઈ આવ્યું.
(પૃષ્ઠ - ૧૫૫)

કાચની બંધ બારીમાં વીજળીનો એક ચમકારો થયો અને આકાશમાં ધીરે ધીરે ગડગડાટ ફેલાઈ ગયો.

નીરા મને જોરથી ભેટી પડી, 'બાર બાય દસ'ના કમરામાં પહેલી વાર ભેટી હતી એમ.
પહાડો પર ચોમાસું ઊતરી રહ્યું હતું.
(પૃષ્ઠ - ૧૫૬)

*********************************

ચંદ્રકાંત બક્ષી વિશેનો એક બ્લૉગ 'બાકાયદા બક્ષી' તેમનાં લખાણોનો અજોડ સંગ્રહ છે, તેમાંથી ત્રણ પોસ્ટ આ નવલકથા વિશે - 

Wednesday 19 April 2017

અલીગઢ - કવિતાઓ અને ગીતોની દુનિયા


હંસલ મહેતાની ફિલ્મ 'અલીગઢ' કળાનો ઉત્તમ નમૂનો છે. ફિલ્મની અંદર કવિતાઓ અને ગીતો વિશે સુંદર જોડાણ છે. પ્રોફેસર સિરાસ (મનોજ બાજપેયી) પોતાની એકલતામાં લતા મંગેશકરનાં ગીતો સાંભળે છે. 'અનપઢ' ફિલ્મનું ગીત 'આપ કી નઝરો ને સમઝા' સાંભળતી વખતે તેઓ ક્યાંક એ ગીતની અંદર ખોવાઈ જાય છે, એમની ગીત સાથેની મસ્તીમાં જ તેઓ ચૂર છે, ઝૂમતી અદાઓ રૂપી એમની હાથની મુદ્રાઓ અને ગીતનાં સંગીત સાથે તાલ મિલાવતા એમના પગની સ્થિતિ આપણને ઘણી વાતો સૂચવે છે. આ પાત્ર પ્રેમની ઝંખના રાખે છે, પરંતુ એકલતાથી પીડાય છે. એ જ રીતે 'હંસતે ઝખ્મ' ફિલ્મનું ગીત 'બેતાબ દિલ કી તમન્ના યહી હૈ' ગીત પણ એક મધુર રાગિણી સમાન છે. જેમાં પણ પ્રિય પાત્રને પ્રેમ કરવાની ચરમસીમા દર્શાવવામાં આવી છે, પ્રિય પાત્રને ભગવાનની જેમ પૂજવાની ઇચ્છા ધરાવતા શબ્દો એ વાતની સાબિતી છે. (બંને ગીતો વિશે લખેલી મારી પોસ્ટ્સની લીંક આ પોસ્ટને અંતે મૂકી છે.)



ફિલ્મનાં એક સીનમાં પ્રોફેસર સિરાસ દીપુ (રાજકુમાર રાવ) સાથે કવિતાઓ વિશે વાત કરે છે. દીપુ કહે છે કે એને કવિતાઓ સમજમાં નથી આવતી. પ્રોફેસર સિરાસ એને સમજાવે છે કવિતાઓ શબ્દોમાં ક્યાં હોય છે? કવિતાઓ તો શબ્દોની વચ્ચેનાં અંતરાલમાં હોય છે. શબ્દોની વચ્ચે રહેલા વિરામ અને મૌનની અંદર કવિતાઓ હોય છે એમ પ્રોફેસરનું માનવું છે, પ્રોફેસર કહે છે કે દરેક પોતાની રીતે શબ્દોનો અર્થ સમજી શકે છે, પોતાની ઉંમર અને પરિપક્વતા પ્રમાણે! કેટલી સુંદર વાત છે ગમે તેટલું સમજાવવા છતાં મોટેભાગે વ્યક્તિ એટલું જ સમજી શકે છે જેટલું એને સમજવું છે. કોઈ એક વાત કે કવિતા કે કહેલા થોડા શબ્દોનો ઘણા વ્યક્તિઓ પોતાની રીતે અલગ અર્થ તારવી શકે છે. દરેકની આંખે દેખાતી દુનિયા અલગ છે એ રીતે કે પછી દરેકની બારીમાંથી દેખાતું આકાશ અલગ છે એ રીતે, દુનિયા તો એ જ છે!







એક કાર્યક્રમમાં કેટલાક લોકોની વચ્ચે પ્રોફેસર સિરાસ એક સુંદર કવિતા કહે છે. મરાઠીમાં કહેલી એ કવિતા કૃષ્ણ વિશે છે. કૃષ્ણનાં પ્રેમ અને ભક્તિમાં ઘણા લોકો રંગાયેલા હોય છે. અહીં એ નથી સૂચવવામાં આવ્યું કે કવિતા કોની લાગણીઓ વ્યક્ત કરે છે, કારણ કે મીરા હોય કે પછી રાધા કે યશોદા કે કોઈ પણ વ્યક્તિ, દરેક કૃષ્ણનાં વિરહમાં જ છે અને દરેક જણ કૃષ્ણ મિલન ઝંખે છે! એ શબ્દોનો અર્થ કંઈક એ પ્રમાણે છે કે વહેલી સવારે કૃષ્ણએ આવીને સર્વસ્વ લૂંટી લીધું! આ સમજાવવા માટે શબ્દો ઓછા પડે અને એ સમજાવીને મારે અર્થ બગાડવો પણ નથી. 




પ્રોફેસર સિરાસ દીપુને પોતાનું મરાઠી પુસ્તક 'પાયા ખાલચી હિરવાલ' ભેટ આપે છે, એ પણ પોતાની લખેલી કવિતાઓનું પોતે જ અંગ્રેજીમાં ભાષાંતર કર્યા બાદ. કારણ કે એમનું માનવું છે કે જેણે ભાષાંતર કરીને 'ગ્રાસ અન્ડર માય ફીટ' પુસ્તક લખ્યું છે, એમાં અંગ્રેજી બરાબર નથી. મોટેભાગે એમ માનવામાં આવે છે કે ભાષાંતરમાં જો શબ્દો કાળજીપૂર્વક વાપરવામાં ન આવે તો અર્થ અલગ થઈ જાય છે. એ પુસ્તકની એક કવિતા દીપુ ફિલ્મની અંદર વાંચે છે. એ કવિતામાં મારા મત મુજબ પ્રેમીઓ વિશે વાત કરવામાં આવી છે. પ્રિય પાત્રને ચંદ્ર સાથે સરખાવવામાં આવેલ છે એમ મારી ધારણા છે, હું સાચો છું કે નથી એ મને ખબર નથી, પણ આગળ કહ્યુ તેમ દરેક પોતાની ઉંમર અને પરિપક્વતાનાં પ્રમાણમાં કવિતાનો અર્થ સમજે છે, એટલે એ ખૂબ જ સુંદર કવિતાનો મેં કરેલો અર્થ નીચે લખી રહ્યો છું. ચંદ્રને સંબોધીને કહેવામાં આવેલ છે કે, પ્રિય ચંદ્ર, પરોઢથી ડરીશ નહીં, જે આપણને અલગ કરે છે, આપણે ફરી મળીશું, જ્યારે દુનિયા પોઢી જશે. જેનો અર્થ કંઈક એ પ્રમાણે કરી શકાય કે આપણે નિરાશ થઈ જઈએ છીએ કોઈ વસ્તુ કે વાતથી, પણ ફરી થોડા સમય પછી નવો મોકો મળે છે. ફરી રાત પડશે, ફરી ચંદ્ર સાથે મુલાકાત થવાની જ છે! એ પછીનાં શબ્દોમાં કવિતાની અંદર સૂચવેલ પડછાયાની જેમ સ્પર્શ અને નૃત્ય પ્રેમની ક્ષણભંગૂરતા સૂચવે છે. પ્રેમ પણ શાશ્વત તો નથી જ, આ પળ છે, એ જ છે, પ્રેમ કરી લેવા માટે, પડછાયો સૂર્યની સ્થિતિ પ્રમાણે બદલાય છે અને ક્યારેક ગાયબ પણ થઈ જાય છે, પણ જ્યારે હોય છે ત્યારે સાથે જ હોય છે. જે પળમાં પ્રેમ છે એ પળનો ભરપૂર આનંદ લેવાનું સૂચવતા અર્થપૂર્ણ શબ્દો! આ ફિલ્મ કળાની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર અને અર્થપૂર્ણ છે એ આ બધા ગીતો અને કવિતાઓ સાબિત કરે છે, હું આશા રાખીશ કે આ પ્રકારની સિનેમા વધારે પ્રમાણમાં મને જોવા મળે!



ફિલ્મની અંદર વપરાયેલા ત્રણ ગીતોની ક્રેડિટ્સ

સંબંધિત બીજી પોસ્ટ્સ -

આપ કી નઝરો ને સમઝા


બેતાબ દિલ કી તમન્ના યહી હૈ


ઉનીશે એપ્રિલ (૧૯૯૪)



બાળપણમાં જ્યારે પૂરી સમજ નથી હોતી ત્યારે મનમાં રહી ગયેલી કેટલીક વાતો મોટા થયા પછી પણ મનમાંથી નીકળી શકતી નથી. નાની વયે પોતાના પિતા ગુમાવી ચૂકેલી અદિતિ (દેબશ્રી રોય) મોટી થઈને પોતાની માતા સરોજિની (અપર્ણા સેન) સાથે મનભેદ રાખીને ફરે છે, કારણ કે એને લાગે છે કે એની નૃત્યકાર મા કારકિર્દીને કારણે ક્યારેય એને સરખો સમય જ આપી શકી નહીં. પરંતુ મા પાસે પણ પોતાના કારણો છે. ઓગણીસમી એપ્રિલ અદિતિનાં પિતાની પુણ્યતિથિ છે, કદાચ એ દિવસે મા એ વાત ભૂલી ગઈ છે. અદિતિ નાની નાની વાતોમાં ગુસ્સે થઈને એ દિવસે નિરાશ થઈ રહી છે. એનો ગુસ્સો, આંસુ, મા સાથેની આશરે બે દાયકાની ફરિયાદો; આ બધાની વાર્તા માંડતી ફિલ્મ એટલે રિતુપર્ણો ઘોષની 'ઉનીશે એપ્રિલ'. એ વર્ષે બે રાષ્ટ્રીય પુરસ્કારો (શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેત્રી-દેબશ્રી રોય) જીતેલી આ ફિલ્મ ભાવનાઓ અને સંવેદનાઓને રોજબરોજનાં જીવન સાથે વણીને અલગ જ સ્તરે લઈ જાય છે.




પિતાની જેમ ડૉક્ટર બનેલી અદિતિ કહે છે કે એ હમેંશાથી ડૉક્ટર બનવા ઇચ્છતી હતી. પરંતુ એ જ અદિતિ પોતાના પ્રેમી સુદીપ (પ્રોસેનજીત ચેટર્જી) માટે બધુ જ છોડવા તૈયાર છે, કારણ કે એ સતત પ્રેમ ઝંખે છે. એને ડર છે કે નાનપણમાં રોજ પોતાની કારકિર્દી માટે એને છોડીને જતી માતાની જેમ સુદીપ પણ એને છોડી દેશે, એટલે એ વાતવાતમાં એને કહે છે કે એને છોડીને ન જાય. નાનપણની યાદો સમાન ફોટોગ્રાફ્સ પાથરીને બેસવું, વાતવાતમાં બચપણ યાદ કરવું જેવી બીજી ઘણી વાતોથી સાબિત થાય છે કે અદિતિ એ બધી જ સારી અને ખરાબ યાદો સાથે જ લઈને ફરે છે, દરેક પળે. મા એ દિવસે વિખ્યાત પુરસ્કાર જીતી છે એ વાતની દેખાવ પૂરતી ખુશી દર્શાવીને અદિતિ કહે છે કે આ એની માતાએ જીતેલો પહેલો પુરસ્કાર નથી, આ પહેલા જીતેલા બીજા પુરસ્કારો વિશે એ જ્યારે હોસ્ટેલમાં હતી ત્યારે ફક્ત છાપામાં વાંચતી એ વખતે જ એને ખ્યાલ આવતો હતો. મા અને દીકરી વચ્ચે સતત તણાવ છે. એકબીજાને ખરાબ ન લાગી જાય એ માટેની સતત કાળજીઓ ધરાવતી બંને સ્ત્રીઓ જ્યારે દિલ ખોલીને એકબીજાની સાથે વાત કરે છે ત્યારે બે દાયકાનો બંધાઈ રહેલો ડૂમો છૂટી જાય છે, સંતાડેલો માતૃપ્રેમ દેખાઈ આવે છે અને રોકી રાખેલા આંસુઓ છલકાઈ જાય છે.





મીણબત્તીને જોઈ રહેલી અદિતિનો સીન હોય કે પ્રેમી સાથે દિલ ખોલીને વાતો કરતી હોય એ વખતે કે સ્ટૉર રૂમમાં સંતાડેલું જૂનું પરફ્યૂમ મળી આવે ત્યારે યાદ આવી જતી એ સમયની યાદો વિશેની ફરિયાદો, બધા જ પ્રકારનાં સીન્સમાં દેબશ્રી રોયનો અદ્વિતીય અભિનય. એ જ રીતે દીકરી સામે ભૂતકાળની વાતો મૂકતી કે પોતાની કારકિર્દી અને અંગત જીવન વિશે વાતો કરતી માતા તરીકે અપર્ણા સેનનો પણ અજોડ અભિનય. રિતુપર્ણો ઘોષની આ બીજી જ ફીચર ફિલ્મ હતી! પોતાની ભાષા પર ગૌરવ હોય એવા ખૂબ જ ઓછા લોકોમાં રિતુપર્ણો ઘોષનો સમાવેશ કરી શકાય, કારણ કે એમણે ફક્ત બે જ ફિલ્મો હિન્દી અને એક અંગ્રેજી ભાષામાં બનાવી હતી. બાકીની ફિલ્મો પોતાની માતૃભાષા બંગાળીમાં... આવી અજોડ ફિલ્મો બનાવનાર રિતુદા આશરે ચાર વર્ષ પહેલાં આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા છે, એમની ખોટ હમેંશા રહેશે. એમના મૃત્યુ પછી શિશિર રામાવતે લખેલ ખૂબ સુંદર લેખ - મલ્ટિપ્લેક્સ: અલવિદા, રિતુદા..



રિતુપર્ણો ઘોષની મા-દીકરીનાં સંબંધોને વાચા આપતી એક બીજી ફિલ્મ વિશે મારી પોસ્ટ - તીતલી (૨૦૦૨)

Tuesday 18 April 2017

મીરા - ચંદ્રકાંત બક્ષી



આખો વાર્તાસંગ્રહ પૂરો થઈ ગયો, તેમ છતાં આ વાર્તાસંગ્રહ વિશે શું લખવું એ સૂઝ ન પડી. એક રીતે કહેવા માટે ઘણું છે, પણ, આ વાર્તાઓ વાંચ્યા વિના સમજાય પણ નહીં, એટલે લખતો નથી. તેમ છતાં આ વાર્તાઓની અંદર શું છે, એ માટે થોડાંક શબ્દો... અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ, કોઈનું દુ:ખ જોઈને આપણે એને વધારે દુ:ખ ન થાય એ માટે આપણી વાત ન કરીએ એ સ્થિતિ, મહાનગરનું જીવન, મુંબઈ, કલકત્તા, નિર્ણયો ન લઈ શકવાની અસમંજસ, કોઈની કામગીરી પર હસીએ પણ સત્ય જુદુ જ નીકળે ત્યારે થતી લાચારી, નોકરી, અધૂરપમાં જીવાતી જિંદગી. દરેકની આંખે દેખાતી દુનિયા અલગ, કોઈ જગ્યાનું પ્રાકૃતિક વર્ણન, આ બધી બાબતો આ વાર્તાસંગ્રહની અંદર રહેલી વાર્તાઓમાં ઝળકે છે. 

ચંદ્રકાંત બક્ષીને 'ઘટનાનાં બેતાજ બાદશાહ' ગણવામાં આવે છે. એમનું લખાણ એટલું સચોટ અને સ્પષ્ટ હોય છે કે કોઈ ઘટના વિશે લખ્યું હોય તો મને હમેંશા એમ જ લાગ્યું છે કે મારી આંખોની સામે એ બની રહ્યું છે. આ વાર્તાસંગ્રહમાં પણ કેટલીક ઘટનાઓ આબાદ ઝીલાઈ છે. 'અ-સમય' નામની વાર્તામાં મુખ્ય પાત્રની બારીમાંથી જોઈ શકાતી બહારની દુનિયા; 'નવમીની રાતે' વાર્તામાં અષ્ટમીની દુર્ગાપૂજા પછીનાં દિવસ એટલે કે નવમીની રાતનું કલકત્તાનું વર્ણન; 'મીરા' નામની વાર્તામાં મુખ્ય પાત્રની રોજબરોજ ચાલતી એક જ જિંદગી, ઑફિસ, ઘર, આસપાસનું વાતાવરણ એ બધુ ખૂબ સુંદર છે, વાંચતી વખતે અંદર ડૂબી જવાય એટલું સુંદર! કેટલાંક મને ખૂબ ગમી ગયેલાં વાક્યો... 


*****************************

સ્લીપિંગ પિલ્સ લીધા પછી પણ ઊંઘ ન આવે એવો વરસાદ આખી રાત પડતો રહ્યો.
(વાર્તા - સ્લીપિંગ પિલ્સ અને સ્ત્રી, પૃષ્ઠ- ૬)

આ ઘરમાં ચાર વર્ષનાં દુ:ખી લગ્નજીવનનો અનુભવ પૂરતો ન હતો? માણસને હજી પરણવાની ઇચ્છા રહી જઈ શકે ખરી? કે પછી દુ:ખી રહ્યા કરવાની આદત જલદી છૂટતી નથી? 
(વાર્તા - છેલ્લી બસોમાંની એક, પૃષ્ઠ- ૪૧)

દુનિયા ડૂબી ગઈ, ચાર હોઠોની વચ્ચે... 
(વાર્તા - ચુંબન, પૃષ્ઠ- ૧૨૯)

સોનાગાછીની ગલીમાં ઘૂસીને એણે ટેક્સી ડ્રાઇવરને ધીરેથી ચલાવવા કહ્યું અને જમણી તરફના મકાનોને ધ્યાનથી જોવા માંડ્યા. ઝળઝળતા દરવાજાઓમાં ચમકતી સજાવેલી ઔરતો.
(વાર્તા - નવમીની રાતે, પૃષ્ઠ- ૧૩૩)

બસ ચાલી-સુધાની, આડત્રીસ વર્ષની એક ડિવૉર્સી સ્ત્રીની દુનિયા તરફ. ઘેર જવું, કાલે સ્કૂલ માટે તૈયારી કરવી, ટ્યુશન કરવું, બે ટાઈમની રસોઈ કરવી, સમાજમાં સભ્ય, શરીફ દેખાયા કરવું. જિંદગીને એક મિશન સમજવું. નાનામોટાં ઘણા કામો હતા; ફક્ત જીવવા સિવાયનાં બધાં કામો હતાં.
(વાર્તા - અ... તોંસીયોં-અતોંસીયોં..., પૃષ્ઠ- ૧૬૦)

આંખો વિના મૃગજળ પણ જોઈ શકાતા નથી.
(વાર્તા - મીરા, પૃષ્ઠ- ૨૦૭)

*****************************

છેલ્લી વાર્તા 'મીરા' વાંચતી વખતે આવેલા વિચારોને અંતે મળેલ એક જોડાણ અંગે મારી પોસ્ટ -
કાગા સબ તન ખાઇયો

ચંદ્રકાંત બક્ષી

Monday 17 April 2017

પડઘા ડૂબી ગયા - ચંદ્રકાંત બક્ષી



ચોવીસમે વર્ષે લખાયેલી ચંદ્રકાંત બક્ષીની પ્રથમ નવલકથા... પ્રકાશ અને અલકા બંને પાત્રો એ સમયનું આધુનિક જીવન રજૂ કરે છે. પોતાની જ અંદર મૂંઝારો અનુભવતી અને પોતે દોરેલા વર્તુળની અંદર જીવન જીવવા લાગતી એક સ્ત્રી તરીકેનું અલકાનું પાત્ર તેમજ કલકત્તાની સડકો સાથે પોતાની દોસ્તી ગણાવતો પ્રકાશ બંને એકદમ જ અલગ પાત્રો છે. બંને સહેજ પણ એકબીજા જેવા નથી, બચપણમાં પાસે રહેલા પરિવારોને કારણે થયેલી ઓળખાણ અને મોટા થઈ ગયા પછી ફરી એક ખાસ પ્રસંગે મળતા આ પાત્રો વચ્ચે કોઈ સૂંવાળા ફૂલો જેવી પ્રેમકથા પણ નથી. રોજબરોજની હાડમારી વચ્ચે જીવાતી જિંદગી અને દરેકની વ્યક્તિગત જિંદગી પર ભાર મૂકતી આ નવલકથાની અંદર પાલનપુર અને કલકત્તાનું અફલાતૂન વર્ણન છે. (ચંદ્રકાંત બક્ષીનું જન્મસ્થળ પાલનપુર અને તેઓ કલકત્તામાં રહ્યા છે, એટલે એમનાં વર્ણનમાં કદાચ આટલી સચોટતા છે.) ઋતુઓનું બદલાતું વર્ણન હોય કે હૂગલીનો દરિયાકિનારો કે ઘરની અંદરનો રૂમ કે સાંજનું અંધારુ અને ધીમે ધીમે ઊતરતી રાત બધુ જ આબાદ ઝીલવામાં આવ્યું છે. આ નવલકથા વિશે વધારે શું લખવું એ તો સૂઝતુ નથી, પણ, એ સમયે જ્યારે આ નવલકથા આવી ત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું લખાણ કોઈએ લખ્યું નહોતું, એમ વિવેચકોનું માનવું છે. નવલકથામાંથી મને ખૂબ જ ગમી ગયેલા અમુક શબ્દો... 

***************************

'દુનિયામાં બહુ ઓછા માણસોએ મારા માટે હમદર્દી બતાવી છે. માએ મને કોઈ દિવસ પ્યાર કર્યો નથી, કારણ કે હું બદસૂરત હતો. બાપે મરતાં સુધી મને ઘૃણાની નજરે જોયો હતો, કારણ કે હું બદમાશ હતો. માથા પર હાથ ફેરવનાર એક પણ બહેન ન હતી... અને એક છોકરી ગાલ ઉપર હાથ ફેરવીને રસ્તે પડી ગઈ. જિંદગીમાં થોડા ગરીબ દોસ્તો વખતોવખત આવીને ગરમ ગરમ હૂંફ આપી ગયા છે...' પ્રકાશ બોલતો ગયો. 
(પૃષ્ઠ - ૩૬)

'મર્દાનગી પણ સહારો માગે છે, કોઈ કોઈ વાર‌-'
(પૃષ્ઠ - ૬૨)

પ્રકાશની આંખો એકદમ ખૂલી. એણે કહ્યું, 'અલકા, ગાલ પર હાથ ફેરવનારી ઘણી છોકરીઓ મળી ગઈ છે. માથા પર હાથ ફેરવનાર આજે તું જ મળી. મને બહુ ગમે છે.'
(પૃષ્ઠ - ૧૧૬)

'જે થપ્પડ મારે છે એ જ પ્યાર કરી શકે છે.' અલકાથી નીચું જોવાઈ ગયું.
(પૃષ્ઠ - ૧૧૯)

'ઇચ્છવા પ્રમાણે જિંદગી જિવાતી નથી, કારણ કે ઇચ્છાઓ હમેંશા સંજોગો પર નિર્ભર છે અને સંજોગોને જીતવાની માણસે કલ્પના જ ન કરવી જોઈએ, ફક્ત સંજોગોની સામે હારી ન જવાય એ જ ખ્યાલ રાખવો જોઈએ.'
(પૃષ્ઠ - ૧૨૬)

'હું જિંદગીમાં સુખની ઇચ્છા રાખતો નથી, મારે બસ એક રંગીન જિંદગી જીવવી છે.'
(પૃષ્ઠ - ૧૪૭)

ધીરેથી એ 'જઝબી'નો એક શેર બોલ્યો - 
'જબ કશ્તી સાબૂત-ઓ-સાલિમથી, સાહિલ કી તમન્ના કિસકો થી?
અબ ઐસી સકિશ્તા કશ્તી પર, સાહિલ કી તમન્ના કૌન કરે?'
(જ્યારે હોડી સાબૂત અને મજબૂત હતી ત્યારે પણ કિનારાની ઇચ્છા કોને હતી? (એટલે કે ન હતી) તો પછી હવે આવી તૂટેલી હોડી છે ત્યારે કિનારાની ઇચ્છા કોણ કરે?)
(પૃષ્ઠ - ૧૮૬)

'દુનિયામાં બધી જ વસ્તુઓ આરામ માગે છે; ફક્ત એક જ વસ્તુ આરામ નથી માગતું - 'પેટ' !' 
(પૃષ્ઠ - ૨૦૬)

... અને ધીરે ધીરે - પડઘા ડૂબી ગયા...
(પૃષ્ઠ - ૨૨૨)

***************************

અને છેલ્લે ચંદ્રકાંત બક્ષી સંબંધિત એક બ્લૉગ પર આ નવલકથામાં આવતા 'અસ્તિત્વવાદ' વિષય પરનાં જેટલા પૃષ્ઠો છે, એ સંકલિત કરીને લખેલી એક પોસ્ટ મળી છે, એ મૂકીને આ પોસ્ટ પૂરી કરીશ. (બક્ષી સાહેબનાં લખાણની અજોડ માહિતી સમાન એ બ્લૉગ ખૂબ સુંદર છે.)
પોસ્ટની લીંક અહીં નીચે- 

ચંદ્રકાંત બક્ષીની બીજી એક નવલકથા વિશે મારી પોસ્ટ - 

અંતરીન (૧૯૯૩)



મિત્રનાં ઘેર લેખનની પ્રેરણા માટે આવેલ લેખક જૂના ખંડેર જેવા ઘરમાં મોટાભાગનો સમય વાંચન અને લેખનની પ્રવૃત્તિ કરે છે. એક રાત્રે ટેલિફોન આવે છે અને સામે છેડેથી કોઈ બોલતું નથી. ફરી બીજે દિવસે ટેલિફોન આવે છે, એક સ્ત્રી વાત કરે છે. એ પછી ધીમે ધીમે બંને પાત્રો વચ્ચે સંવાદ વધે છે, એ વિશેનો અનુભવ એટલે આ ફિલ્મ! અજાણ્યી સ્ત્રી સાથે વાતો, ટેલિફોનનાં દોરડા પર ફરતો હાથ, ટેલિફોનની રાહ જોઈ રહેતી આંખો અને કાન, વાર્તા લખેલ ઉડતા પત્તા, આ બધુ ફિલ્મની અંદર એક ખૂબ જ સરસ વાતાવરણ અને રસ પેદા કરે છે. નાયક અને નાયિકા રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ 'ક્ષુધિત પાષાણ' વિશે ચર્ચા કરે છે. બંને પાત્રોને ક્યારેક એકલતા અને ખાલીપો ઘેરી વળે છે, આસપાસ શૂન્યતા છવાઈ જાય છે. વરસાદમાં નહાતી ડિમ્પલ કાપડીઆનો સીન સુંદર રીતે એકલતાની અંદર પોતે શોધી લીધેલી ખુશી જાહેર કરે છે. ફિલ્મની અંદર અમુક સીનમાં ધીરે ધીરે અંધારામાં ઓગળી જતી શાંતિ કે ટ્રેનનાં પાટા સાથે સરકી જતો સમય અને ઘડિયાળને ચાવી ન પૂરતા પાત્રો દર્શાવવામાં આવ્યા છે. (જાણે સમયને રોકી લેવાની ઇચ્છા ધરાવતા હોય એ લોકો!) (અંતરીનનો અર્થ છે- મર્યાદિત)

મહાન ઉર્દૂ સાહિત્યકાર સઆદત હસન મન્ટોની વાર્તા પરથી બનેલી મૃણાલ સેનની આ ફિલ્મને એ વર્ષની શ્રેષ્ઠ બંગાળી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. પુરસ્કાર આપતી વખતે મળેલી નોંધ (સાઇટેશન) પણ રસપ્રદ છે, જેમાં નોંધેલ છે, 'આધુનિક માણસની એકલતાને સંવેદનશીલ રીતે રજૂ કરવા માટે તેમજ અમાનવીય સંસ્કૃતિમાં માનવીય સંચારની નિષ્ફળતા માટે'... જેનો સંબંધ આજની માનવતા અને સંવાદ સંબંધિત સ્થિતિ સાથે ચોક્કસ જ કરી શકાય. 

લા લા લેન્ડ (૨૦૧૬)

આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ નથી...




***************************************

'કદાચ મારામાં એટલી તાકાત નથી.' ભીંજાઈ ગયેલી આંખોએ કહ્યુ. 
'ના; છે.' ધ્રૂજતા હોઠોએ કહ્યુ. 
'મારા સપના પૂરા નહીં થાય, કદાચ.' છલકાઈ ગયેલી આંખોએ કહ્યુ.
'જરૂર થશે.' મોં પરના મલકાટે કહ્યુ.

***************************************

સપનાઓ!! ભૂરા આકાશ, ફૂલગુલાબી ધુમ્મ્સ અને સફેદ રૂ જેવા સપનાઓ. રંગીન કાચની અંદર પાણી પડે, પછી બધુ મિશ્ર થઈ જાય એ પ્રકારનાં રંગીન ખ્વાબો. વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે ભ્રમણા પેદા કરતા સપનાઓ. રણની અંદર દરિયા જેવી ખારી ઠંડક સમાન સપનાઓ. દૂઝતા ઘા પર કોઈ ફૂલ પડે અને ઠંડો પવન વાય, હવામાં સુગંધ જ સુગંધ ફેલાઈ જાય અને તમને થાય કે હવે જરૂર વૃષ્ટિ થશે, એ પળની હકીકત એવા સપનાઓ. ક્યારેક કોઈ જગ્યાની મન હરી લેતી શાંતિમાં કોઈ મધુર ગીત ગાશે અને કહેશે કે આ સપનું નથી, આ જ તો સત્ય છે, આવી જિંદગી જ તો ઇચ્છી હતી આપણે. એ વ્યક્તિ જ બીજા ખ્વાબો પૂરા કરવામાં સાથ આપશે, સપનાઓની અંદર રંગ પૂરશે, એ સમયે તન અને મન બંને સાતમાં આસમાનમાં ઉડવા લાગશે. પરંતુ ક્યારેક એમ પણ બનશે કે વાસ્તવિકતા એક જોરદાર અવાજ સાથે જમીન પર પાછા લઈ આવશે. પણ, એ પછી ફરીથી બંધ આંખે કે પછી ખુલ્લી આંખે પણ ખ્વાબો જોઈ જ શકાશે. સૂરજ ઉગશે અને ઝાકળની બુંદો જતી રહેશે. પણ, એ પછી જ્યારે દિવસ પૂરો થશે, ત્યારે ફરી રાત પડશે, ફરી બીજી સવાર વખતે ઝાકળ! જ્યારે ખ્વાબો આપણો પીછો નથી છોડતા, ત્યારે આપણે શા માટે ખ્વાબોનો પીછો છોડવો જોઈએ?!




***************************************

ફિલ્મ જોઈને મને લાગેલું કે આ ફિલ્મ ડિરેક્ટરની પહેલાની ફિલ્મ 'વિપલેશ' જેટલી સારી નથી. પણ, થોડા સમય પછી ખ્યાલ આવ્યો, કોઈ એક વ્યક્તિ બીજા કોઈની જગ્યા લઈ શકતું નથી, તો કદાચ બંને અલગ જ ફિલ્મોની હું કેમ સરખામણી કરી રહ્યો છું! 'લા લા લેન્ડ' ધીમે ધીમે પચતો ખોરાક છે, ફિલ્મ જોઈને ખૂબ વિચારો આવશે એ નક્કી, અને એ પછી જ ફિલ્મ વિશે ખબર પડશે, એ પણ નક્કી! 'લા લા લેન્ડ' ગીત-સંગીત અને સપનાઓની અનોખી સફરે લઈ જશે. ઘણી વાતો મને ખૂબ સુંદર લાગી, ખૂબ ગમી. ઘણી વાતો સ્વીકારવા માટે જાતને સહેજ સમય આપવો પડ્યો. અમુક વાતોમાં એમ પણ લાગ્યું કે હું જે સમજ્યો એ જ બરાબર છે કે નહીં, પરંતુ એ બધી વાતો ફિલ્મ સ્પોઈલર્સમાં આવી જશે, એ લખીશ નહીં. એટલે જ મેં વાર્તા વિશે પણ કંઈ જ લખ્યું નથી. 'લા લા લેન્ડ' ફરીથી જોવામાં આવશે, એ વખતે જો વધારે ખ્યાલ આવશે, તો ફરીથી ફિલ્મ વિશે લખવામાં આવશે! ફિલ્મની ટેગલાઇન છે, 'હિયર ઇઝ ટુ ધ ફૂલ્સ વુ ડ્રીમ' ... તો ફરી મળીએ ત્યાં સુધી, ચીયર્સ ટુ ડ્રીમ્સ એન્ડ લાઇફ!



Saturday 15 April 2017

બેગમ જાન (૨૦૧૭)



આઝાદી મળ્યાની સાથે મળ્યા ભાગલા, રાતોરાત બેઘર બની ગયેલા લાખો લોકો, મજબૂરીમાં હિજરત કરીને જતા લોકો, થાકી ગયેલું મન અને શરીર, સૂકાઈ ગયેલા આંસુ, આ બધાની સાથે જ્યાં બે નવા બનેલા દેશો વચ્ચેથી સરહદ પસાર થઈ રહી છે, ત્યાં છે બેગમ જાનનો કોઠો. સભ્ય સમાજ જેઓને વેશ્યાઓ કે રંડીઓનાં નામે ઓળખે છે એવી સ્ત્રીઓનું ઘર એવું એ કૂટણખાનું બે દેશો વચ્ચેની તારની વાડ બનાવવામાં નડી રહ્યુ છે. આ છે શ્રીજીત મુખર્જીની 'બેગમ જાન'. આ પોસ્ટમાં હું કોઈ ફિલ્મ સ્પોઈલર્સ લખતો નથી, કારણ કે ખાસ કોઈ સ્પોઈલર્સ છે જ નહીં, જેને ફિલ્મ વિશે ખ્યાલ છે એને ખબર જ છે એ બધી વસ્તુઓ, પણ એ સ્ક્રીન પર જોતી વખતે મહેસૂસ થાય તો ફિલ્મ થોડી ગમશે, નહીં તો નહીં. આરજે ધ્વનિતે ફિલ્મનાં રિવ્યૂમાં સરસ વાત કહી છે કે આપણી આસપાસ બનતી ઘટનાઓ અને સમાચારો થોડા દિવસ પછી પસ્તી થઈ જાય છે, એમણે આગળ કહ્યુ કે પોપકોર્ન ખાતી વખતે પાર્ટિશનનું દર્દ તો કયાંથી સમજાય? એકદમ સાચી વાત છે એ. કારણ કે મારી સાથે થિયેટરમાં બેઠેલા અમુક લોકો ઘણી જ ગંભીર પળોમાં મોટેથી હસતાં હતા. હા, ફિલ્મ નબળી છે, અપેક્ષા હતી એટલી સારી ફિલ્મ નથી, તેમ છતાં કેટલીક વાતોની રજૂઆત ખૂબ જ અસર ઉપજાવે છે, બધા જ પાત્રોનાં દમદાર અભિનય સાથે.




વિદ્યા બાલનનો એક સરસ ડાયલોગ છે ફિલ્મમાં કે ડૉક્ટરને ડૉક્ટર અને વકીલને વકીલ કહે છે એ રીતે રંડીને રંડી જ કહેવી જોઈએ ને, રંડી એ થોડી કોઈ ગાળ થઈ? રંડી હોવું એ પણ એક ધંધો છે. બેગમ જાન (વિદ્યા બાલન) અને બીજી સ્ત્રીઓની પાસે જ્યારે સરકારી અધિકારીઓ એમનું એ ઘર ખાલી કરવાની નોટિસ લઈને આવે છે, ત્યારે એ અધિકારીઓ સ્ત્રીઓને સમજાવે છે કે ભાગલાને કારણે બે મુખ્ય ધર્મનાં લોકો ઝઘડી રહ્યા છે. એ વખતે પણ બેગમ જાન ખૂબ જ સરસ જવાબ આપે છે કે, અહીં આવતા લોકો કોઈ સ્ત્રીનું શરીર વાપરતાં પહેલા તો કોઈ જ ધર્મ પૂછતાં નથી. ફિલ્મની અંદર એક એકથી ચઢે એવા સુંદર ડાયલોગ્સ છે. ફિલ્મની અંદરનાં બીજા એક સુંદર ડાયલોગમાં મુસ્લિમ પાત્ર રુબીના (ગૌહર ખાન) શ્રીમદ ભગવદગીતાની વાત કહે છે, એ સીન સુંદર સિનેમટોગ્રાફી અને એક્ટિંગ સાથે ખૂબ જ અસરકારક છે. ફિલ્મની અંદર ભાગલાનો રૂપક વાપરવા માટે બંને સરકારી અધિકારીઓ ઇલિયાસ (રજીત કપૂર) અને હર્ષવર્ધન (આશિષ વિદ્યાર્થી) જ્યારે વાત કરે છે ત્યારે એમનાં ચહેરાનો અડધો ભાગ જ સ્ક્રીન પર બતાવવામાં આવ્યો છે. જ્યારે પોતાના ઘરની વચ્ચેથી સરહદ પસાર થતી હોવા છતાં ઘરનાં ભાગલા માટે રાજી ન થતી બેગમ જાનની આંખની બે ભમર (આઇબ્રો) પણ જોડાયેલી છે.





ક્યારેક ડૂમો ભરાઈ જાય ત્યારે શું બોલવું એ સૂઝતું નથી, એવા સમયે રડવું કે તમારા દુ:ખને વ્યક્ત કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. પ્રેમ દર્શાવવા માટે વપરાતો લાલ રંગ કે દુ:ખનાં સમયે ચહેરા પરની શાંતિ, અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ, પોતાની જાતની સ્થિતિ બતાવતો અરીસો, દુ:ખ સહન કરી લેવાની તાકાત, વિનાશ પછીની સ્થિતિ, બધુ જ સુંદર રીતે કેમેરાની અંદર કેદ થઈ ગયું છે. એક સીનની અંદર બેગમ જાન બધી છોકરીઓ પોતાની પાસે આવેલી એ દિવસોની યાદો તાજા કરે છે, ધીમે ધીમે બદલાતા સમયની સાથે સાથે મોટી થઈ ગયેલી એ બધી સ્ત્રીઓને માટે એ ઘર જ હવે એમનું વતન છે, તેઓ જ એકબીજાની માટે કુટુંબ છે. શાસ્ત્રીય સંગીત સાથે વીણા વગાડતી વિધા બાલનનો સીન હોય કે દમદાર ડાયલોગ્સ બોલતી વખતે વચ્ચે થોડો સમય રોકાઈને એ હુક્કો પીવે એ પ્રકારના સીન્સ કે પછી શાંત બેસીને પણ ઘણું કહી જતી એની સ્થિતિ, દરેકમાં જોરદાર અભિનય. એ સાથે જ ફિલ્મનાં બીજા કલાકારોનો પણ ખૂબ જ સરસ અભિનય. આગળ કહ્યુ તેમ ગૌહર ખાનનો એ સીન, બેગમ જાનને માલિશ કરતી રુબીના (ગૌહર ખાન), આંખમાં કાજળ લગાવેલ કબીર (ચંકી પાંડે), વાળમાં ફૂલ લગાવતી અમ્મા (ઇલા અરુણ), જેને ભાગે એક પણ ડાયલોગ નથી તે શબનમ (મિશ્ઠી) કે પછી પ્રેમનું દર્દ અને ઈર્ષ્યા અનુભવતી ગુલાબો (પલ્લવી શારદા), દરેક કલાકારે પોતાનાં પાત્રો સરસ રીતે ભજવ્યા છે.  




નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર શ્રીજીત મુખર્જીની આ પહેલી હિન્દી ફિલ્મ છે. આ પહેલાની બધી ફિલ્મો એમણે બંગાળી ભાષામાં બનાવી છે. મેં એમની સૌથી પહેલી ફિલ્મ 'ઓટોગ્રાફ' જોઈ છે. એમની વાર્તા કહેવાની રીત ઘણી જ અલગ છે. 'બેગમ જાન' પણ એમની પોતાની જ બંગાળી ફિલ્મ 'રાજકહિણી'ની રિમેક છે. ખુશી, પ્રેમ અને દર્દ અનુભવતા આ બધા પાત્રો અને આજના સમયની સ્ત્રીઓની સ્થિતિ સાથે ઈતિહાસનાં પાત્રોને સરખાવતી 'બેગમ જાન' ઘણા લોકોને પચશે જ નહીં.